કાવ્ય-શિકારીને.......

રહેવા દે, રહેવા દે આ સંહાર, યુવાન ! તું;
ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સંતનું.

પંખીડાં, ફૂલડાં રૂડાં, લતા આ, ઝરણાં તરુ;
ઘટે ના ક્રૂર દૃષ્ટિ ત્યાં : વિશ્વ સૌન્દર્ય કુમળું.

તીરથી પામવા પક્ષી, વ્યર્થ આ ક્રૂરતા મથે;
તીરથી પક્ષી તો ના ના કિન્તુ સ્થૂલ મળી શકે.

પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને;
પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે તને.

સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે;
સૌન્દર્યો પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે. 

સૌન્દર્યે ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.

રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન ! તું
બધે છે આર્દ્રતા છાઈ, તેમાં કૈં ભળવું ભલું ! - કલાપી